લગ્નની મજા અને પિકનિકનો શોક: લોનાવાલામાં 10 સંબંધીઓની સામે જ નદીમાં વહી ગયો એક પરિવાર, બે બાળકોની શોધખોળ ચાલુ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01072024_075958_family-swept-away-in-Lonavala-waterfall.webp)
- 01 Jul, 2024
મહારાષ્ટ્રના લોનાવાલામાં ભૂશી બંધની પાસે વોટરફોલમાં એક જ પરિવારના ત્રણ લોકો અચાનક જ પુરમાં વહી ગયા હતા. જ્યારે 3 અને 9 વર્ષના બે બાળકો હજી પણ ગુમ છે. તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જે પરિવારને આ દુર્ઘટના નડી, તે ત્યાં પિકનિક મનાવવા માટે પહોંચ્યો હતો.
આ ઘટનાનો હલાવી દે તેવો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારે વરસાદના કારણે ગતિ સાથે આવતા પાણીમાં લોકોનું ગ્રુપ તણાઈ ગયું હતું. તેમાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઝરણામાં વહી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પુનાના હડપસર ક્ષેત્રના સૈય્યદ નગરના રહેવાસી એક જ પરિવારના 16-17 લોકો પિકનિક કરવા લોનાવાલા પહોંચ્યા હતા. એક ખાનગી બસને ભાડે કરીને આ પરિવાર ઝરણાના કિનારે પહોંચ્યો હતો.
લોનાવાલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુહાસ જગતાપે જણાવ્યું કે બપોરે 12.30 વાગ્યે અચાનક જ પાણી વધતા લગભગ 10 લોકો વહી ગયા હતા. જોકે આ પૈકીના કેટલાક જીવ બચાવવામાં સફળ રહ્યાં છે. એક છોકરીને ત્યાં હાજર અન્ય લોકોને બચાવી લીધી હતી. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ પોલીસે મૃતકોની ઓળખ અંસારી, અમિમા આદિલ અંસારી અને ઉમેરા આદિલ અંસારી તરીકે કરી છે. આ સિવાય ગુમ થયેલા કેટલાક લોકોના શબ મળ્યા છે. અધિકારીએ જણાવ્યું કે અદનાન સભાહત અંસારી અને મારિયા અકીલ અંસારી હાલ પણ ગુમ છે.
ગુમ થયેલા બાળકને શોધવા માટેનું અભિયાન ગઈકાલે મોડી સાંજ સુધી ચલાવવામાં આવ્યું હતું. તે પછીથી સોમવારે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અંસારી પરિવારના સભ્યો ભુશી બંધની પાસે ઝરણું જોવા ગયા હતા, જોકે વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ અચાનક જ વધી ગયો અને પુર આવ્યું.